આદિદેવ નમસ્તુભ્યં પ્રસીદ મમભાસ્કર
દિવાકર નમસ્તુભ્યં પ્રભાકર નમોસ્તુતે
બ્રાહ્મણો ગાયત્રીમંત્રમાં ઉચ્ચારણ દ્વારા સૂર્યને જળ ચઢાવે છે તો ઘણા લોકો સૂર્યદેવના મંત્રો કે શ્લોકો દ્વારા જળ ચઢાવીને સૂર્યઉપાસના પૂણ કરે છે. ગર્ભવતી સ્ત્રી કે પ્રસૂતા અને તેના નવજાત બાળક માટે ડોકર્ટસ સૂર્યોદય પછી અડધા કલાક સુધીનો તડકો ફાયદાકારક ગણાવે છે, જેનાથી રોગપ્રતિકારશકિતમાં વધારો થાય છે અને સારા પ્રમાણમાં વિટામિન ડી શરીરને પ્રાપ્ત થાય છે.
દેવાધિદેવ સૂર્યનારાયણ આદિદેવ કહેવાયા છે. આપણા શરીરને જરૂરી એવું પોષકતત્ત્વ વિટામિન ડી માત્ર સૂર્યપ્રકાશ દ્વારા જ કુદરતી રીતે મળે છે. પિશ્ચમના દેશોમાં વિટામિન ડીની ઊણપથી ઘણા રોગો થાય છે તો આપણે શિયાળામાં શા માટે સૂર્યસ્નાનનો લાભ ન લઈએ! આપણા પૂર્વજો ખરેખર આપણને ઘણું જ જ્ઞાનધન વારસામાં આપી ગયા છે. યુગયુગાંતર વહી ગયા પરંતુ સૂર્યનારાયણ આજે પણ તે જ રીતે તેજોમય છે. સૂર્ય અનંત છે, તેનો મહિમા અપરંપાર છે.
શિયાળો આવતાં જ સૂર્યનો ઉનાળામાં આકરો લાગતો તાપ સૌને વહાલો લાગવા માંડે. છેલ્લાં ૪૫ વર્ષથી નિયમિતપણે સૂર્યનારાયણને જળ ચઢાવતાં નિરૂપમાબહેન પોતાના નીરોગી અને તંદુરસ્ત સ્વાસ્થ્ય માટે સૂર્યને યશ આપે છે. તેઓ સૂર્યનારાયણને જળ ચઢાવી, પ્રદક્ષિણા (સૂર્ય સામે) ફરી રોજ સૂર્યને અઘ્ર્ય આપે છે ને ફૂલ ચઢાવે છે. ત્યારબાદ તડકામાં ચટાઇ પાથરી રોજિંદી સેવા-પૂજા અને ઘ્યાન સૂર્ય સામે બેસીને જ કરે છે. તેઓના જણાવ્યા પ્રમાણે તેમની સુંદર ત્વચા પણ સૂર્યના કુમળા તડકાને આભારી છે.
કોલેજમાં અભ્યાસ કરતાં તનવી, માલા, રૂચિના જણાવ્યા અનુસાર તેઓ રોજ સૂર્યના કુમળા તડકામાં આસન પાથરીને લગભગ ૩થી ૫ સૂર્યનમસ્કાર કરે છે. સૂર્યનમસ્કારના નિયમાનુસાર ઓછામાં ઓછા ૩ અને વધુમાં વધુ ૧૨ સૂર્યનમસ્કાર થઈ શકે. સૂર્યનમસ્કારમાં બધી જ જાતની કસરત શરીરને મળી રહે છે, જેનાથી તન અને મન બંનેને લાભ થાય છે. સૂર્યનમસ્કારથી મનને અજબ તાજગીનો અહેસાસ થાય છે. તેઓ સૂર્યનમસ્કાર બાદ સૂર્યનારાયણની વંદના કરીને જ પોતાનો દિવસ શરૂ કરે છે.
આજે ઘણા લોકો સોલરકૂકર, સોલર પેન, સોલરહીટર વગેરેના ઉપયોગ દ્વારા સૂર્યની ઊર્જાનો મહત્તમ ફાયદો મેળવે છે. રસ્તે જતા-આવતા ઘણા લોકો વહેલી સવારે સૂર્યનાં કિરણો લેવાં તડકામાં ખુલ્લી જગ્યાઓ શોધીને ઊભા રહેલા ઘણી વાર નજરે ચઢે છે. વિદેશોમાં પણ સૂર્યના તડકાનો મહિમા છવાયેલો છે.
અમુક દેશોમાં સૂર્યનો તાપ મળતો ન હોવાને કારણે ત્યાંના લોકો સનબાથ લેવા સૂર્યનો તાપ વધુ મળે તેવા દેશોમાં જવાનું પસંદ કરતાં હોય છે. સૂર્ય તેનાં અનંત કિરણો વડે પૃથ્વીલોકને સ્વસ્થ અને જીવંત રાખે છે. આજે આપણી ગૃહિણીઓ દેવાધિદેવ સૂર્યનારાયણનું અપાર મહત્ત્વ સમજીને સંસ્કતિને આવા હાઇટેક યુગમાં પણ જીવંત રાખી રહી છે તે માટે તેવી ભારતીય નારીઓને કોટિ કોટિ ધન્યવાદ!
Tekan from Divya Bhasker
No comments:
Post a Comment