Tuesday, January 13, 2009

મકરસંક્રાંતિ માટે સુરતીઓનો થનગનાટ

kitesમંદી અને નીરસતાની બુમરાણ વચ્ચે પતંગ બજારમાં ખરીદીનો માહોલ જામ્યો છે. મકરસંક્રાંતિ આડે માત્ર ગણતરીના બે દિવસ રહી જતાં ડબગરવાડ-કોટસફિલ રોડ, ટાવર રોડ સહિતનાં બજારોમાં પતંગ અને દોરી-માંજાની ખરીદીમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પતંગના જથ્થાબંધ વિક્રેતા ઘનશ્યામભાઈ છત્રીવાળાના જણાવ્યા મુજબ ૮ જાન્યુઆરીથી બજારમાં ચહલપહલ જોવા મળી રહી છે.

ગુરુવારે મોહરમની રજામાં તથા શનિ-રવિના રોજ બજારમાં પતંગની સારી ખરીદી નોંધાઈ રહી છે. લોકો દ્વારા પતંગની ખરીદીમાં ઉત્સાહ દર્શાવવામાં આવી રહ્યા છે. શહેરના ઘણાં જથ્થાબંધ પતંગ વિક્રેતાઓને ત્યાં પતંગનો સંગ્રહિત જથ્થો પૂર્ણ થઈ ગયો છે.

માંજો ઘસાવવામાં પણ પડાપડી

ડબગરવાડમાં બોબિન વિક્રેતા અને માંજો ઘસનારા રાજેશ છત્રીવાલાના જણાવ્યા મુજબ પ્રારંભિક તબક્કાની નીરસતા બાદ અંતિમ દિવસોમાં લોકોએ દોરી પર કાચનો માંજો ચઢાવવા ધસારો કર્યો છે.

ચાઇનીઝ પતંગની માગ ઘટી

પતંગવિક્રેતા સતીશભાઈ છત્રીવાલાના જણાવ્યા મુજબ ચાલુ વર્ષે બજારમાં ચીલ-ખંભાતી તથા ગોળ પતંગની ડિમાન્ડ છે. થોડાં વર્ષોથી ચાઇનીઝ પતંગનું આકર્ષણ હતું. પરંતુ ચાલુ વર્ષે બજારમાં ચાઇનીઝ પતંગની માગ ઘટી છે.

પતંગના ભાવ ૨૦ ટકા ઊચા

ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે પતંગના ભાવ ૨૦ ટકા ઊચા છે, જે માટે કાગળના વધતા ભાવ, પતંગમાં વપરાતી કામળી તથા કાગળ પર વેટ ભારણ જેવાં પરિબળો જવાબદાર છે.

મંગળવારે રાત્રે હરાજીબજાર જામશે

શહેરના વિસ્તરણ સાથે જુદા જુદા વિસ્તારોમાં પણ પતંગ-દોરી વિક્રેતાઓ ખૂલ્યા છે. પરંતુ મકરસંક્રાંતિના પર્વ માટે રાજમાર્ગ પર બજાર ભરાય છે. ખાસ કરીને મકરસંક્રાંતિની પૂર્વ રાત્રિએ દિલ્હીગેટથી લાલગેટ સુધીના માર્ગ પર શહેરભરના પતંગવિક્રેતાઓ રેંકડી ખોલે છે.

જેઓ દ્વારા છેલ્લી ઘડીનો સંગ્રહિત જથ્થો બજારની ચાલ અને પતંગની ડિમાન્ડના આધારે વેચવામાં આવે છે. આ બજાર હરાજીબજાર તરીકે પણ ઓળખાય છે. મકરસંક્રાંતિની પૂર્વસંઘ્યાએ હકડેઠઠ જામતી ભીડના કારણે રાજમાર્ગ પર ટ્રાફિક બંધ કરવાની પણ ફરજ પડે છે.

મકરસક્રાંતિનો સંપૂર્ણ મહિનો ફળદાયી

૧૪મી મકરસંક્રાંતિ, ૧૬મીએ ઉત્તર ફાલ્ગુની નક્ષત્ર, ૧૭મીએ હસ્ત નક્ષત્ર, ૨૧, ૨૫ અને ૨૬મી એ સર્વાર્થ સિદ્ધિ યોગ

kites૧૪મી જાન્યુઆરીએ આખો દેશ જયારે મકર સંક્રાન્તિ ઊજવશે ત્યારે યોગાનુયોગે આ જ દિવસે સંકટ ચતુર્થી પણ છે. છેલ્લાં ૧૯ વર્ષ પછી પહેલી વખત બનતો આ યોગ હવે આવનારાં પચાસ વર્ષ બાદ બનવાનો છે. આ જાન્યુઆરીનું છેલ્લું પખવાડિયું દરેક ઉત્તમ કાર્યો માટે ખાસ કરીને ખરીદી કરવા માટે શુભ મુહૂર્ત લઈને આવી રહ્યું છે.

વિદ્વાન જયોતિષીઓના મતાનુસાર આ દિવસોમાં જે કોઈ કામકાજનો આરંભ કરવામાં આવે તે સ્થાયી અને ફળદાયી નીવડે. ૧૪મી જાન્યુઆરીએ મકરસંક્રાંતિ અને ૩૧મી જાન્યુઆરીએ વસંત પંચમીની વરચેના સમયમાં મહાચતુર્થીએ સર્વાર્થ સિઘ્ધિયોગ, દ્વિપુષ્કર યોગ, ષટ્તલા એકાદશી, દ્વાદશી તેમજ સોમવતી અમાસે વિશેષ ફળદાયી યોગોનો સંયોગ બને છે.

સૂર્યની ઉત્તરાયણમાં ગતિની સાથેજ શુભ કાર્યોનો આરંભ થઈ જશે. મકરસંક્રાંતિએ કરવામાં આવેલાં શુભ કાર્યોનું ફળ વસંત પંચમી અને અક્ષય તૃતીયા જેવું મળશે. આ દિવસો દરમિયાન સોના, ચાંદી તેમજ જમીન જેવી ખરીદી ખુબ જ શુભ બની રહે છે.

જયોતિષી મુકેશભાઈ રાવલ (મહેસાણા)ના જણાવ્યા અનુસાર મકરસંક્રાંતિના દિવસે સંકટ ચતુર્થી પણ છે જે મહિલાઓ માટે મહત્ત્વપૂર્ણ છે. આ પ્રકારનો સંયોગ ૧૯ વર્ષ પછી આવ્યો છે અને હવે ૫૦ વર્ષ પછી આવશે.

સંયોગ અને ખરીદી માટેનાં શુભ યોગ

જયોતિષી કર્દમ દેવેએ જણાવેલા મુહૂર્ત અનુસાર નીચે મુજબના યોગો શુભ છે.

૧૪ જાન્યુઆરી.....મકરસંક્રાંતિ, તલ ચતુર્થી અને બુધવારનો સંયોગ
૨૧ જાન્યુઆરી.....અમૃત સિદ્ધિ યોગ
૨૬ જાન્યુઆરી.....સોમવતી અમાસ
૩૧ જાન્યુઆરી.....વસંત પંચમી : સોનું
૭ ફેબ્રુઆરી.......શનિ પ્રદોષ
૮ ફેબ્રુઆરી.......ગુરુ પુષ્યનો સંયોગ